નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ચિંતાજનક થતી જાય છે.ત્યારે આજે ગુરુવારે 11 માર્ચે છેલ્લા 76 દિવસ બાદ ફરીથી સંક્રમિતોનો આંક 22 હજારને પાર થઈ ગયો છે. કોવિડ-19 મહામારીની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારની આસપાસ કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે, આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા 4 મહિના બાદ ફરી એક લાખને પાર થઈ ગઈ છે. દેશના કુલ એક્ટિવ કેસોમાં 53 ટકા દર્દીઓ મહારાષ્ટ્રમાં છે.
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,854 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 126 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,85,561 થઈ ગઈ છે.
આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 9 લાખ 38 હજાર 146 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 18,100 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,89,226 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,189 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,42,58,293 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,78,416 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એક જ દિવસમાં 96,861 વ્યક્તિને રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે. આજે 484 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. ગુજરાતમાં હાલમાં કુલ 3529દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 3482 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,67,250 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4418 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.