નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. સરકાર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારામણે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
હવે ફરી એકવાર અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ મળવાની સંભાવના છે. આ સંદર્ભે માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, કોવિડ -19 થી પ્રભાવિત ઉદ્યોગો અને ગરીબ લોકો માટે ટૂંક સમયમાં જ અન્ય આર્થિક ઉત્તેજના પેકેજની જાહેરાત કરવામાં આવશે. નાણાં પ્રધાને આ વાત વિશ્વ બેંકની વિકાસ સમિતિની 101 મી પૂર્ણ બેઠકમાં કહી હતી.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં નિર્મલા સીતારામને વૈશ્વિક સમુદાયને જણાવ્યું હતું કે, કુલ 23 અબજ ડોલર એટલે કે રૂ. 1.70 લાખ કરોડના રાહતનાં પગલાં લેવામાં આવ્યા છે. આમાં આરોગ્ય કર્મચારીઓ માટે મફત આરોગ્ય વીમો, રોકડ સ્થાનાંતરણ, ખોરાક અને ગેસનું મફત વિતરણ અને અસરગ્રસ્ત મજૂરો માટે સામાજિક સુરક્ષાનાં પગલાં શામેલ છે.
નિર્મલા સીતારામને કહ્યું કે, સરકારે આવકવેરા, જીએસટી, કસ્ટમ, નાણાકીય સેવાઓ અને કોર્પોરેટ બાબતોથી સંબંધિત ઘણા નિયમોમાં રાહત આપી છે, ખાસ કરીને નાના અને મધ્યમ ધોરણના એકમોને મદદ કરવા. નાણામંત્રીએ કહ્યું કે, સેન્ટ્રલ બેંક પણ આમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
નિર્મલા સીતારામણે કહ્યું કે, સરકાર આગામી દિવસોમાં માનવતાવાદી સહાય અને આર્થિક પ્રોત્સાહનોના રૂપમાં વધારાની રાહત આપવા ગંભીરતાથી કામ કરી રહી છે.