પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ જમ્મૂ બંધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 12 લોકો ઈજા પામ્યા હતા. સંખ્યાબંધ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આર્મીએ સ્થાનિક પોલીસ પ્રશાસનને મદદ કરવા માટે અપીલ કરી છે. જ્યારે પોલીસે કોમી રમખાણોની દહેશતને પગલે સમગ્ર જમ્મૂ સિટીમાં કરફ્યુ લાગી કરી દીધો છે.
અધિકારીક રીતે જણાવવામાં આવ્યું છે કે જમ્મૂ સંપૂર્ણ બંધ રહ્યું હતું. રસ્તા પર ટ્રાફીક ન હતું અને દુકાનો પણ બંધ રહી હતી. જમ્મૂમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને જમ્મૂના જ્વેલ ચોક, પુરાની મંડી, રેહરી, શક્તિનગર, પક્કા ડાંગા, જાનીપુર, ગાંધીનગર અને બખ્શીનગર જેવા વિસ્તારોમાં મોટાપાયા પર પથ્થરમારો અને આગ ચાંપવાની ઘટના બની હતી.
જમ્મૂના જિલ્લા મેજિસ્ટ્રેટ આઈ.રમેશે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા અને શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળાવાઈ રહે તે માટે કરફ્યુ લાગી કરી દેવામાં આવ્યો છે. 144ની કલમ પણ લાગુ કરી દેવાઈ છે. ટોળા દ્વારા વાહનો, દુકાનો અને મિલ્કતોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેને લઈને કોમ્યુનલ ટેન્શન ઉભૂં ન થાય અને કોમી રમખાણો ફાટી ન નીકળે તે માટે કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
જમ્મૂ ચેમ્બર ઓફ કોમર્સ અને જમ્મૂ બાર એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવતા ગુજ્જર નગર અને પ્રેમ નગરમાં ટોળા દ્વારા વાહનો, દુકાનો અને મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
નજરે જોનારા શખ્સે જણાવ્યું કે ભારતીય ધ્વજ હાથમાં લઈને યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટોળા દ્વારા પ્રેમ નગરમાં મોટાપાયા પર તોડફોડ કરવામાં આવી હતી. કરફ્યુ હોવા છતાં લોકોના ટોળે-ટોળે રસ્તા પર જોવા મળી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર જમ્મૂમાં પોલીસ અને અર્ધ લશ્કરી દળોને ખડકી દેવામાં આવ્યા છે.
જમ્મૂમાં બજરંગ દળ, શિવસેવા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુસ્લિમ વસ્તી ધરાવતા ગુજ્જર નગરમાં ઘુસવાનો પ્રયાસ કરાતાં કોમી રમખાણોની અફવા ફેલાઈ હતી એવું ઈન્ડીયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે. ખાસ કરીને જોગી ગેટ પાસે ટોળાએ વાહનો અને દુકાનોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું. મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.