ઉત્તર પ્રદેશના એક વ્યક્તિએ પોતાના લગ્ન માટે પંજાબથી 850 કિલોમીટરનો સફર સાયકલ પર કર્યો પરંતુ આટલી લાંબી જર્ની બાદ પણ મંડપમાં હાજરી આપવાને બદલે આ વ્યક્તિને 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં રહેવાનો વારો આવ્યો. સોનુ કુમાર ચૌહાણ પંજાબના લુધિયાણામાં ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરે છે તેનું ઘર યુપીમાં મહારાજગંજ જિલ્લાના નેપાળની બોર્ડર નજીક આવેલ એક ગામડામાં છે. સોનુ કુમાર અને તેના ત્રણ મિત્રો પંજાબથી સાયકલ પર નીકળી પડ્યા હતા જેથી તેઓ યુપીમાં 15 એપ્રિલના રોજ થનાર લગ્નમાં સમયસર પહોંચી જાય. દિવસરાત સાયકલ ચલાવીને તેમણે 850 કિલોમીટરનું અંતર કાપી લીધું. સોનુ કુમારનું કહેવું હતું કે, બલરામપુરથી તેનું ઘર 150 કિલોમીટર દૂર હતું. જો હું ઘરે પહોંચી ગયો હોત તો લગ્ન સાદાઈથી પૂરા થઇ ગયા હોત પરંતુ પોલીસે મને જવા જ ન દીધો. મેં ઘણી વિનંતી કરી પણ મને જવાની મંજૂરી ન અપાઈ. જોકે, તેણે એવું પણ ઉમેર્યું કે સ્વાસ્થ્ય વધુ મહત્ત્વનું છે, લગ્ન તો પછી પણ થઇ શકશે.
Monday, May 6