સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 200 બ્રહ્મોસ મિસાઈલની ખરીદી માટેના સોદાને મંજૂરી આપી દીધી છે. ભારતીય નૌકાદળ માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોની ખરીદી કરવામાં આવશે અને આ મિસાઇલોને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. આ ડીલ 19 હજાર કરોડ રૂપિયાની છે. બુધવારે સાંજે કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.
બ્રહ્મોસ એરોસ્પેસ અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે માર્ચના પ્રથમ સપ્તાહમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત અને રશિયાની સરકારો વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન કરે છે. આ મિસાઇલો સબમરીન, યુદ્ધ જહાજ, વિમાન અને જમીન પરથી પણ છોડવામાં આવી શકે છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌકાદળનું મુખ્ય હથિયાર છે, જેનો ઉપયોગ એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં થાય છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતમાં રશિયાની મદદથી વિકસાવવામાં આવી છે અને તેના ઘણા ભાગો ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. ભારત ટૂંક સમયમાં ફિલિપાઈન્સમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવા જઈ રહ્યું છે. આ અંગે બંને દેશો વચ્ચે એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ સાથે ફિલિપાઈન્સ બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ વિદેશી ગ્રાહક દેશ બની ગયો છે.
દક્ષિણ એશિયાના અન્ય ઘણા દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે. બ્રહ્મોસ એરોસ્પેસના વડા અતુલ રાણેએ જણાવ્યું હતું કે ફિલિપાઇન્સ સાથે બ્રહ્મોસ મિસાઇલ સોદો આશરે $375 મિલિયનનો હશે અને તેમની ટીમ વર્ષ 2025 સુધીમાં શસ્ત્રોની નિકાસને પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. વડા પ્રધાન મોદીએ શસ્ત્રોની નિકાસને પાંચ અબજ ડૉલર સુધી વધારવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે અને વડા પ્રધાને નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરવામાં બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બ્રહ્મોસ મિસાઈલની ડીલ બાદ ભારતમાં વિકસિત અન્ય હથિયારો જેમ કે આકાશ મિસાઈલ, હોવિત્ઝર તોપ વગેરેની નિકાસની શક્યતાઓ પણ વધી શકે છે.
હથિયારોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે, સંરક્ષણ મંત્રાલય તેના હથિયારોની હાર્ડવેર ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓએ વિદેશોમાં પણ પોતાની ઓફિસ ખોલી છે, જેથી નિકાસને પ્રોત્સાહન મળી શકે.