નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં ઑક્સીજનની અછતને પગલે હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાના કેસ વધુ હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય લોકો સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ઑક્સીજનની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પ્રશ્નો કર્યો હતો કે, જો દિલ્હી માટે આવી રહેલું ઑક્સીજનનું ટેન્કર કોઈ રોકી લે તો મારે કેન્દ્ર સરકારમાં કોની સાથે વાત કરવી જોઈએ? ઉલ્લેખનીય છે કે દિલ્હી માટે આવી રહેલા ઑક્સીજનના ટેન્કરોને ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં રોકવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ત્રણ માંગ કરી હતી.
વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યુ કે, દિલ્હીમાં ઑક્સીજનની ખૂબ અછત છે. સાથે જ સવાલ ઉઠાવ્યો કે શું ઑક્સીજન પ્લાન્ટ ન હોય તો દિલ્હીને ઑક્સીજન નહીં મળે? ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં દિલ્હીની અનેક મોટી હૉસ્પિટલોમાં ઑક્સીજનને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
પીએમ મોદી સાથેની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે ઑક્સીજન એક્સપ્રેસ ચલાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ અનેક રાજ્યોમાં ટ્રેનો મારફતે ઑક્સીજન પહોંચાડવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમને વચ્ચે રોકતા કહ્યું હતું કે, દેશમાં પહેલાથી જ ઑક્સીજન એક્સપ્રેસ ચાલી રહી છે.
અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સાથેની બેઠકમાં કહ્યુ કે, વેક્સીન માટે વન નેશન, વન રેટ હોવો જોઈએ. એક જ દેશમાં કોરોના વેક્સીનના બે ભાવ કેવી રીતે હોઈ શકે? કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક જ ભાવે વેક્સીન મળે.
બેઠકમાં કેજરીવાલે કહ્યુ કે, “એક નેશનલ પ્લાન બનાવવો જોઈએ. જે અંતર્ગત દેશના તમામ ઑક્સીજન પ્લાન્ટ આર્મીની મદદથી સરકારે ટેકઓવર કરી લેવા જોઈએ. દર ટ્રક સાથે આર્મીનું એક એસ્કોર્ટ વાહન રહેશે, જેનાથી તે જથ્થો કોઈ અટકાવી ન શકે.
વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં અરવિંદ કજરીવાલે મૂકેલી માંગણી બાબતે ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલનો ઉધડો લીધો હતો. બીજેપીના પ્રવેક્તા સંબિત પાત્રા અને બીજેપીના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના નેશનલ ઇન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કરીને કેજરીવાલનો ઉધડો લીધો હતો. અમિત માલવિયાએ લખ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ ખરેખર ડિઝાસ્ટર છે. તેઓ પીએમ સાથે કોઈ જ તૈયાર વગર બેઠકમાં આવી ગયા હતા. દિલ્હીમાં ઑક્સીજનની અછત દૂર કરવા માટે જે વસ્તુઓનું આયોજન પહેલા જ કરી દેવામાં આવ્યું છે તે બાબતથી તેઓ અજાણ છે. વેક્સીની કિંમત અંગે પણ તેમને જાણ નથી. તેઓ દિલ્હીને કેવી રીતે બચાવશે?”