ઢાકાઃ દેશના વડાપ્રધાન મોદી પોતાના વિદેશ પ્રવાસ માટે વિપક્ષના નિશાના ઉપર આવતા રહે છે ત્યારે કોરોના કાળ વચ્ચે નરેન્દ્ર મોદી ફરીથી વિદેશ પ્રવાસ ખેડી રહ્યા છે. નરેન્દ્ર મોદી આજથી શુક્રવારથી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે ગયા છે. પીએમ મોદી 497 દિવસ બાદ કોઈ વિદેશી પ્રવાસ પર છે. આ પહેલા તેઓ નવેમ્બર 2019માં બ્રાઝીલના પ્રવાસે ગયા હતા. ગયા વર્ષથી પીએમ દુનિયાના મહત્ત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિસ્સો લઈ રહ્યા છે. બાંગ્લાદેશે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને ઢાકાની વચ્ચે ઓછામાં ઓછી પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સ્વર્ણ જયંતી સમારોહ અને તેના સંસ્થાપક શ ખ મુજીબુર રહમાનની જન્મશતી સમારોહમાં સામેલ થવા શુક્રવારે ઢાકા પહોંચશે. વડાપ્રધાન મોદી 26થી 27 માર્ચ સુધીની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા પણ કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને કહ્યું કે, એમઓયુની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, બાંગ્લાદેશની બે દિવસીય યાત્રા દરમિયાન શેખ હસીનાની સાથે અલગ-અલગ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરશે. વડાપ્રધાને એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ગયા વર્ષે કોવિડ-19 મહામારીની શરુઆત બાદ તેમની પહેલી વિદેશ યાત્રા એવા પડોશી મિત્ર દેશમાં થઈ રહી છે જેથી સાથે ભારતના ખૂબ મજબૂત સંબંધ છે.
બાંગ્લાદેશ રવાના થતાં પહેલા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં વડાપ્રધાને કહ્યું કે, મને ખુશી છે કે કોવિડ-19 મહામારીની શરૂઆત બાદ કોઈ એવા પડોશી મિત્ર દેશની આ મારી પહેલી વિદેશી યાત્રા છે, જેની સાથે ભારતના સાંસ્કૃતિક, ભાષાકીય અને બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર ઊંડા સંબંધ છે.