ઉત્તર પ્રદેશ : ભરવરીમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં ગભરાટ ફેલાયો છે. આગ કાબૂમાં આવ્યા બાદ પણ ફેક્ટરીની અંદર વિસ્ફોટ થઈ રહ્યા છે, જેના કારણે ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોતની માહિતી સામે આવી છે. આગ ઓલવવા માટે કૌશામ્બી ઉપરાંત ફતેહપુરના ખાગાથી પણ ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે. સવારે 11.30 વાગ્યે બનેલી ઘટના બાદ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અકસ્માતની તીવ્રતા જોઈને એડીજી પ્રયાગરાજ ઝોન ભાનુ ભાસ્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપી કૌશામ્બીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ચાર લોકોના મોતની પુષ્ટિ કરી હતી. બપોરે 2 વાગ્યા સુધી આગ ઓલવવાની કામગીરી ચાલુ રહી હતી.
એક સમયે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હોય તેવું લાગતાં પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ફેક્ટરી પર પહોંચ્યા હતા. દરમિયાન કાટમાળના ઢગલામાં વધુ એક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક પછી એક બે વિસ્ફોટના કારણે નાસભાગ મચી ગઈ હતી. અધિકારીઓની સાથે અન્ય લોકોએ પણ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. માનવામાં આવે છે કે કાટમાળમાં હજુ પણ વિસ્ફોટકો દટાયેલા હોઈ શકે છે જે કોઈપણ સમયે ખતરો ઉભો કરી શકે છે.