ગુવાહાટી: આસામમાં રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ અને બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા. રાજ્યના 22 જિલ્લામાં પાણી ભરાવાને કારણે 7.2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક પૂર અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે હોજાઈ જિલ્લાના ડુબોકામાં એક વ્યક્તિનું અને કચર જિલ્લાના સિલચરમાં એક બાળકનું પૂરના કારણે મોત થયું હતું. આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે.
ઓથોરિટીએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે બરપેટા, વિશ્વનાથ, કચર, દરરંગ, ગ્વાલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, જોરહાટ, કામરૂપ, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, લખીમપુર, મજુરી, મોરીગાંવ, નાગાંવ, સોનિતપુર અને ઉદલગુરી વગેરેમાં 19,540 લોકો અસરગ્રસ્ત છે.
નાગાંવ જળબંબાકારને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે જ્યાં 3.46 લાખ લોકો મુશ્કેલીમાં છે. આ પછી કચરમાં 2.29 લાખ અને હોજાઈમાં 58 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઓથોરિટીએ કહ્યું કે હાલમાં 2095 ગામો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 95,473.51 હેક્ટર વિસ્તારમાં ઉભા પાક નાશ પામ્યા છે.
દરમિયાન, મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ સરમાએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સંબંધિત મુદ્દાઓ પર નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણના અધ્યક્ષ અલકા ઉપાધ્યાય સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, “હું પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાષ્ટ્રીય ધોરીમાર્ગોના તાત્કાલિક સમારકામ અને વર્તમાન પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકું છું.”