નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે એક માત્ર હથિયાર એટલે રસીકરણ. રસીકરણ થકી દેશમાંથી કોરોના દૂર કરવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. જોકે, રસી લેનારા લોકોને સામાન્ય તાવ, શરીર દુખાવા જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના રસી આપ્યા બાદ વ્યક્તિ ઉપર 28 દિવસ સુધી નજર રાખવી પડે
દેશના એક ઉચ્ચ આરોગ્ય અિધકારી અને રાષ્ટ્રિય કક્ષાએ બનેલી એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશનનાં સભ્ય ડો.એન.કે.અરોરાનું કહેવું છે કે કે બીજી ઘણી રસી બજારમાં આવવા માટે તૈયાર છે અને આવી સ્થિતીમાં રસીકરણ પછીની આડઅસરોનું મોનિટરિંગ વધારવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ એઈએફઆઈ ડેટા ટૂંક સમયમાં જાહેર પોર્ટલ પર મુકવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ એક એવું પગલું છે, જેની તમામ આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.
ડો.એન.કે.અરોરાએ જણાવ્યું કે, અત્યાર સુધી રસી અપાયેલા 7 કરોડ લોકોનું મોનિટરિંગ પૂર્ણ થયું છે. આમાંના 0.5 ટકાથી ઓછા કેસોમાં રસીકરણ પછી ગંભીર આડઅસરો જોવા મળી છે. વળી એમ પણ કહ્યું કે આ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે અને તેનાથી સંબંધિત ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તેમણે કહ્યું કે મોનિટરિંગ માટે વધુ સમય જરૂરી છે અને તે ઘણા દેશોમાં થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, હવે તમામ રાજ્યોએ સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવો જોઇએ અને એક એવી સિસ્ટમ તૈયાર કરવી જોઈએ કે જેમાં રસી અપાયેલા લોકોની 28-દિવસની આડઅસરો સંબંધિત માહિતી મેળવી શકાય.
તેમણે કહ્યું કે આ બધી રસી નવી છે અને તેની સાથે સંકળાયેલી આડઅસરો જાણવા માટે વધુ ફોલોઅપની જરૂર છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં આંતરરાષ્ટ્રીય રસીની આવવાની સાથે જ દર મહિને 25-30 કરોડના ડોઝ ઉપલબ્ધ થવાની આશા રાખવામાં આવી રહી છે.