રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે રેપો રેટ હજુ ચાર ટકા જ રહેશે. આ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ સતત 11મી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
RBI ગવર્નરે પરિણામોની જાહેરાત કરી
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા ત્રણ દિવસીય આરબીઆઈ મોનેટરી પોલિસી બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તમામ સભ્યોની સહમતિથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક બજાર સપ્લાય ચેઈનને લઈને દબાણ હેઠળ છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે તેના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7.2 ટકા કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ અંદાજ 7.8 ટકા આપવામાં આવ્યો હતો.
ફુગાવો 5.7% રહેવાની આગાહી
આરબીઆઈના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિનું અનુમાન 16.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 4.1 ટકા, જ્યારે ચોથા ક્વાર્ટરમાં ચાર ટકા રાખવામાં આવ્યું છે. આ સાથે જ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલર રહેવાનો અંદાજ છે અને આ નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવાનું અનુમાન 5.7 ટકા રાખવામાં આવ્યું છે.