નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને JDS નેતા એચડી દેવગૌડા કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ બુધવારે આ અંગે ટ્વીટ કરીને તે વિશે જાણકારી આપી હતી. એચડી દેવગૌડા ઉપરાંત તેમની ધર્મપત્ની પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે.
એચડી દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, મારી પત્ની ચેન્નામા અને હું કોરોના વાયરસ પોઝિટીવ આવ્યા છીએ. અમે બંને અને પરિવારના અન્ય સભ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું તમામને અપીલ કરુ છુ કે, છેલ્લા થોડા દિવસોમાં જે પણ લોકો અમારા સંપર્કમાં આવ્યા હોય તે, પોતાનો ટેસ્ટ કરાવી લે. કોઈ પણ પાર્ટી કાર્યકર્તાને ડરવાની જરૂર નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડા સાથે 53,480 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,21,49,335 થઈ ગયા છે.
ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કુલ મૃતકઆંક 1,62,468એ પહોંચ્યો છે. આના પહેલા મંગળવારે 271 મૃતકઆંક નોંધાયો હતો ત્યારે એક જ દિવસમાં થયેલો આ વધારો ચિંતાજનક છે.