Maharashtra border : છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બોર્ડર પર ગઢચિરોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા છે. ચારેય માઓવાદીઓ તેલંગાણા સ્ટેટ કમિટીના હોવાનું કહેવાય છે.
આ એન્કાઉન્ટર કોલામાર્કાના જંગલમાં થયું હતું. ઈન્સ્પેક્ટર શિવ પાટીલે ઘટનાની પુષ્ટિ કરી છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જ્યાં નક્સલવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા લોન્ચર અને ગન પણ મળી આવી છે. પોલીસે માહિતી આપી છે કે સર્ચ દરમિયાન વધુ નક્સલીઓના મૃતદેહ મળવાની શક્યતા છે.
માહિતી આપતાં ગઢચિરોલીના એસપી નીલોતપલે જણાવ્યું હતું કે ગઢચિરોલીના કોલામાર્કા પર્વતો પાસે C60 અને CRPF QATની ઘણી ટીમોના સંયુક્ત ઓપરેશનમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આ નક્સલવાદીઓ પાસેથી એક AK47, એક કાર્બાઈન અને બે દેશી બનાવટની પિસ્તોલ સહિત નક્સલવાદી સાહિત્ય અને સામગ્રી પણ મળી આવી છે. મહારાષ્ટ્ર સરકારે નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. નક્સલ વિરોધી અભિયાન ચાલુ છે.