નવી દિલ્હી : વૈશ્વિક હસ્તીઓના ટ્વીટર (Twitter) એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ભારતની સાયબર સિક્યુરિટી એજન્સી સીઇઆરટી-ઇન દ્વારા ટ્વિટરને એક નોટિસ આપવામાં આવી છે. એક સ્ત્રોતે આ વિશે માહિતી આપી હતી. આ કેસ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે સીઈઆરટી-ઈનએ ટ્વિટરને આ હેકિંગની ઘટનાથી પ્રભાવિત ભારતીય વપરાશકારોની સંખ્યા વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. આ સિવાય ટ્વિટરને કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં કઈ પ્રકારની માહિતીને અસર થઈ છે તે જણાવવામાં આવે.
સૂત્રએ જણાવ્યું હતું કે સીઈઆરટી-ઈનએ ટ્વિટરને પૂછ્યું છે કે, કેટલા ભારતીય વપરાશકર્તાઓએ દૂષિત ટ્વીટ્સ અને લિંક્સની મુલાકાત લીધી છે અને શું ટ્વિટર દ્વારા અસરગ્રસ્ત વપરાશકર્તાઓને તેમની પ્રોફાઇલના ભંગ અને અનધિકૃત ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી છે. હુમલાખોરોના હુમલાથી લોકો કેવા પ્રભાવિત થયા છે તેની માહિતી સરકારે માંગી છે. આ સાથે, હુમલાની રીત વિશેની વિગતો પણ માંગવામાં આવી છે. આ સિવાય, હેકિંગની ઘટનાની અસર ઘટાડવા માટે, ટ્વિટર દ્વારા લેવામાં આવેલી સુધારાત્મક પગલાની વિગતો માંગવામાં આવી છે. ટ્વિટર તરફથી આ અંગે કોઈ તાત્કાલિક જવાબ મળ્યો નથી.
ઘણાં વૈશ્વિક ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, હસ્તીઓ અને ઉદ્યોગોના ખાતા હેક કરવા માટે ટ્વિટર સિસ્ટમમાં ભંગ થયાના અહેવાલો બાદ ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (સીઈઆરટી-ઇન) કાર્યવાહી કરી હતી.