નવી દિલ્હી: દેશમાં 54 દિવસ બાદ ભારતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં સંક્રમિત થનારા લોકો અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કોવિડ-19 એક્ટિવ કેસ પણ 19 લાખથી નીચે છે. દેશમાં સંક્રમિત થનારા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત દેશનો રિકવરી રેટ 92.1 ટકા પહોંચી ગયો છે.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,27,510 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 2,795 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,81,75,044 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,60,46,638 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
બીજી તરફ, કોવિડ-19 ની મહામારી સામે લડીને 2 કરોડ 59 લાખ 47 હજાર 629 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,55,287 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 18,95,520 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,31,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 મે સુધીમાં ભારતમાં કુલ 34,67,92,257 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 19,25,375 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.