મુંબઈમાં નાયર હોસ્પિટલમાં બેદરકારીના કારણે 32 વર્ષીય ગુજરાતી યુવાન રાજેશ મારુનું મોત થઈ ગયું. હોસ્પિટલમાં શનિવારે સાંજે વોર્ડ બોયે રાજેશને ઓક્સિજન સિલિન્ડર લઈને એમઆરઆઈ રૂમમાં મોકલી દીધો, જ્યાં મશીન ચાલુ હોવાથી તેના ચુંબકે સિલિન્ડર ખેંચી લેતા રાજેશ મશીનમાં ફસાઈ ગયો. આ મામલે ડોક્ટર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
ઓક્સિજન સિલિન્ડર લીક થવા લાગ્યો, જેના કારણે રાજેશના પેટમાં લિક્વિડ ઓક્સિજન ભરાઈ ગયો અને તેનું મોત નીપજ્યું. આ ઘટના બાદ તુરંત ડોક્ટર, વોર્ડબોય અને નર્સને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે, રાજેશના સંબંધીઓના હોબાળા બાદ મોડી સાંજે પોલીસે સદોષ માનવ વધના ગૂના હેઠળ ત્રણેની ધરપકડ કરી છે. બીજીબાજુ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સહાય ભંડોળમાંથી મારૂ પરિવારને રૂ. 5 લાખની મદદ અપાશે, એવી માહિતી ઘટના પછી હોસ્પિટલના બહાર ધરણાં કરનાર સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આપી હતી.
રાજેશ તેની બહેનની સાસુને જોવા માટે શનિવારે રાત્રે મહાપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલમાં ગયો હતો, જે સમયે ત્યાં હાજર વોર્ડબોયે દરદીનું એમઆરઆઈ કરવાનું છે એમ કહીને રાજેશને એમઆરઆઈ રૂમમાં ઓક્સિજનનું સિલિંડર લાવવાનું છે એમ કહ્યું, જેની સામે સંબંધીઓએ વિરોધ કર્યો હતો. એમઆરઆઈ રૂમમાં ધાતુની વસ્તુ લઈ જવા મનાઈ હોવા છતાં એમઆરઆઈ મશીન બંધ હોવાથી સિલિંડર લઈ જવામાં વાંધો નથી એમ વોર્ડબોયે જણાવ્યું હતું.