લોકસભા ચૂંટણી પૂર્વે ફરી એક વાર રાજસ્થાનમાં ગુર્જર આંદોલની આગ ભડકી છે. ગુર્જર સમુદાયના લોકોએ અનામતની માંગને લઈ સવાઈ માધોપુરમાં આંદોલન શરૂ કરી દીધું છે. બયાના, સવાઈ માધોપુર, ગંગા નગરમાં ટ્રેન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે. મુંબઈ જતી ગરીબ રથને ભરતપુર પાસે અટકાવી દેવામાં આવી હતી. ગરીબ રથને ત્યાર બાદ મથુરા લઈ જવામાં આવી હતી.
ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા અને ટોંકમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુપી અને એમપીમાં વધારાની કુમક બોલાવી લેવામાં આવી છે. સ્ટેશન અને રેલવે ટ્રેક પર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં સુરક્ષા દળોની 17 બટાલીનને ઉતારી દેવામાં આવી છે.
બીજી તરફ સવાઈ માધોપુરમાં લોકોના ટોળા સાથે મુંબઈ ટ્રેક પર પહોંચેલા આંદોલનના નેતા કર્નલ બૈંસલાએ ગુર્જર સમાજને અનામત આપવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. જ્યારે આંદોલનકારી નેતા કિરોડસિંહ બૈંસલાએ કહ્યું કે ગુર્જર સમાજને પાંચ ટકા અનામત જોઈએ છે. સરકારે અમારી માંગ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જેથી કરીને આંદોલન કરવાની ફરજ પડી છે. સમાજને અનામત જોઈએ છે કેવી રીતે આપવી એ સરકારનો વિષય છે.
ગુર્જર સમાજ દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં અનામતની માંગ સાથે આંદોલન શરૂ કરાતા બે મહિના જૂની કોંગ્રેસની સરકાર માટે મોટો પડકાર ઉભો થયો છે. ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની ફોર્મ્યુલા લઈને આવેલા અશોક ગેહલોત માટે ગુર્જરોની માંગને સંતોષા સિવાયનો હાલ કોઈ વિકલ્પ દેખાતો નથી. ગુર્જર સમાજે કહ્યું છે કે સરકાર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી બેકલોગ સાથે પાંચ ટકા અનામત આપે.