નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે મોદી સરકારે કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન ચલાવ્યું છે. પરંતુ હવે આ આંકડાઓ પણ ચિંતાજનક છે. ભારતમાં રસીકરણ કાર્યક્રમના સાપ્તાહિક આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે. 15થી 21 મે દરમિયાન 93 લાખ લોકોને રસી અપાઇ છે. માર્ચ બાદ પહેલી વાર રસીકરણનો આંકડો એક કરોડની નીચે પહોંચ્યો છે. ખાસ કરીને રસીની અછતના કારણે રસીકરણ કાર્યક્રમમાં અસર પડી છે. 1 મે બાદ 18થી 44 વર્ષના લોકોને વેક્સિન લગાવાની માગ પણ વધી છે.
મળતા આંકડા પ્રમાણે 3થી 9 એપ્રિલ વચ્ચે 2.47 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. ગત અઠવાડીયે આ આંકડામાં 60 ટકાનો ઘટાડો થયો છે. સાથે 15થી 21 મે દરમિયાન 93 લાખ લોકોને રસી અપાઇ છે. જેમાંથી અડધા ડોઝ 18-44 વર્ષના લોકોને આપવમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છેકે, દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે ઓછી થતી જોવા મળી રહી છે. પરંતુ દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યું ચિંતાજનક જણાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,5,299 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4194 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યારે 29 લાખ 23 હજાર 400 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 30 લાખ 70 હજાર 365 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી નજરે પડી રહી છે.
કોરોનાની બીજી લહેરની અસર મહારાષ્ટ્રથી શરૂ થઇ હતી. મહિનાઓ પછી, અહીં કોરોના વાયરસનું સામ્રાજ્ય ઓછું થતું જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 29 હજાર 644 નવા કોવિડ કેસ નોંધાયા છે. જો કે, વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 500 કરતા વધારે છે. 24 કલાકમાં, કોરોના વાયરસથી 555 લોકો માર્યા ગયા. આ રીતે રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા 55 લાખ 27 હજાર 092 પર પહોંચી ગઈ છે, જ્યારે વાયરસથી મૃત્યુઆંક 86 હજાર 618 પર પહોંચી ગયો છે.