મુંબઈઃ મહારાષ્ટ્ર અત્યારે કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના એક ટ્વીટથી રાજકીય હલચલ મચી ગઈ છે. તો બીજી તરફ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેઓએ રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સંજય રાઉતના ટ્વીટથી રાજકીય દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સંજય રાઉતએ રવિવારે સવાર-સવારમાં શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યું છે. તેઓએ જાવેદ અખ્તરની એક શાયરી ટ્વીટ કરી છે. તેઓએ લખ્યું કે, ‘શુભ પ્રભાત… હમ કો તો બસ તલાશ નએ રાસ્તો કી હૈ, અમ હૈ મુસાફિર એસે જો મંજિલ સે આએ હૈ.’
સંજય રાઉતના આ ટ્વીટથી નવા સમીકરણોના સંકેત માનવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર છે. બીજી તરફ રાજ્ય સરકારમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ એનસીપીના છે. એવામાં ભ્રષ્ટાચારના લાગેલા આરોપો બાદ સંજય રાઉતના આ ટ્વીટથી શિવસેના અને એનસીપીના સંબંધોમાં ખટાસ આવવાની વાતો કહેવામાં આવી રહી છે.
બીજી તરફ, સંજય રાઉતના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા એનસીપી પ્રવક્તા કલાઇડ ક્રાસ્ટોએ લખ્યું, ‘હમ સાથ ચલે, કારવાં બનતા ગયા, મુશ્કીલેં આતી રહી, સાથ ચલતે રહે હમ, બિછાએ વો કાંટે, દેતે રહે ગમ, મુસાફિર હૈ…મંઝિલ તો પાએંગે હમ…’
નોંધનીય છે કે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શનિવારે કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચારના આરોપ લગાવવા માટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરબમીર સિંહની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે. આ પહેલા એનસીપી નેતા દેશમુખે ટ્વીટ કરીને સિંહના આરોપોને ફગાવી દીધા કે તેઓએ પોલીસ અધિકારીઓને બાર, રેસ્ટોરાં અને અન્ય પ્રતિષ્ઠાનોથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે કહ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીર સિંહે કહ્યું છે કે દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે, તેઓએ બાર, રેસ્ટોરાં અને આવા જ અન્ય પ્રતિષ્ઠાનોથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી અડધી રકમ શહેરમાં ચાલી રહેલા 1750 બાર, રેસ્ટોરાં અને આવા જ અન્ય પ્રતિષ્ઠાનોથી વસૂલવામાં આવે.