નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. જોકે, હવે દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ દેશમાં કોરોનાની આ હદ સુધી સ્થિતિ બગડવા પાછળનું કારણ દેશમાં યોજાયેલા ધાર્મિક આયોજનો અને પ્રવાસી શ્રમીકોના માધ્યમથી ફેલાયો હોવાના દાવા થઈ રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પોતાના એક રિસર્ચમાં દાવો કર્યો છે કે બીજી લહેરની પાછળ જવાબદાર માનવામાં આવી રહેલા વાયરસના મ્યૂટન્ટને વિદેશી પ્રવાસીઓ ભારત લાવ્યા. ત્યારબાદ આ મ્યૂટન્ટ વાયરસ પ્રવાસી શ્રમિકો અને ધાર્મિક આયોજનોમાં સામેલ થનારા લોકોના માધ્યમથી દેશભરમાં ફેલાયો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઇસીએમઆરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક સમયમાં કોરોના સંક્રમણનો પ્રસાર મુખ્ય રૂપથી પ્રવાસી શ્રમિકોની અવર-જવર અને ધાર્મિક આયોજનથી થયો હતો. પ્રારંભિક ચરણના નમૂનાથી સાર્સ સીઓવી-2 વેરિયન્ટમાં જોવામાં આવેલા અમીનો એસિડ મ્યૂટેશનની સ્વતંત્ર ઓળખ હાલના સમયમાં ફેલાઈ રહેલા સ્ટ્રેનના વધારાને દર્શાવે છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020ની વચ્ચે સાર્સ સીઓવી-2ના સીકવન્સના વિશ્લેષણથી સ્પાઇક પ્રોટીનમાં E484Q મ્યૂટેશન હોવાની જાણ થઈ. આ સીકવન્સ માર્ચ અને જુલાઈ 2020માં મહારાષ્ટ્રમાં મળ્યું હતું. વધુ એક રોગ પ્રતિરોધક ક્ષમતાને છેતરનારું મ્યૂટેશન સ્પાઇક પ્રોટીનમાં N440ના અમીનો એસિડ મે 2020માં તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને આસામમાં જોવા મળ્યા હતા.
ICMRનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસના ત્રણ વેરિયન્ટ B,1.1.7, વેરિયન્ટ ઓફ કન્સર્ન અને B.1.351 મળ્યા હતા. આ વેરિયન્ટને લઈને સ્થિતિ ઘણી ચિંતાજનક હતી કારણ કે તે રોગ પ્રતિરોધી ક્ષમતાને નુકસાન પહોંચાડનાર અને ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં ભારતીય સાર્સ સીઓવી-2 વાયરસ સીકવન્સમાં B.1.617ની સાથે સાર્સ સીઓવી-2ના સ્પાઇક પ્રોટીનમાં E484Q અને L452R નામના મ્યૂટેશન મળ્યા છે. આ મ્યૂટેશન ઝડપથી પ્રસરિત થાય છે.