નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો જાણે વિસ્ફોટ થયો હોય તેમ રોજે રોજ કોરોના વાયરસના કેસ વધતા જાય છે. ભારતમાં અત્યાર સુધીમાં 2,61,64,920 કોરોના વાયરસ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ સંક્રમણનો વ્યાપ પણ ફરી વધતો જઈ રહ્યો છે. દેશમાં 24 ડિસેમ્બર, 2020 બાદ ફરી એકવાર સૌથી વધુ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 57 દર્દીઓનાં મોત થયા છે. પંજાબ અને કેરળમાં પણ સ્થિતિ વણસતી જઈ રહી છે. મહારાષ્ટ્રમાં રશિયા અને બ્રિટનથી પણ વધુ કેસ નોંધાયા છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,285 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 117 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,13,08,846 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 9 લાખ 53 હજાર 303 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,157 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,97,237 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,306 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,49,98,638 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 7,40,345 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.