નવી દિલ્હીઃ એક તરફ કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે અને બીજી તરફ આમે હોળીનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા અને સરળતા રાખવા માટે ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી હોળીના તહેવાર નિમિત્તે રેલવે વિભાગ 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ 54 ટ્રેન ઉત્તરી વિસ્તારમાંથી ચલાવાશે.
તહેવારો માટેની સ્પેશિયલ 100 ટ્રેન આગામી 10 એપ્રિલ 2021 સુધી દોડાવવામાં આવશે. હોળીના તહેવારમાં ટ્રેનમાં ભીડનું પ્રમાણ વધુ હોય છે, પરિણામે કોરોના વાયરસ ફેલાઈ તેવો ખતરો રહેલો છે. જેથી રેલવે વિભાગે ભીડને ઓછી કરવા માટે વધારાની ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. રેલવે વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરનાર લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
હોળીના તહેવાર નિમિત્તે દોડાવવાની થતી ટ્રેનમાંથી કેટલીક ટ્રેન તો અત્યારે દોડી જ રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે કેટલીક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની માંગ વધી હતી માટે આ ટ્રેનને બંધ કરવામાં આવી નથી. ઉત્તર રેલવે દ્વારા અત્યારે એવી 36 ટ્રેન દોડી રહી છે, જે દિવાળીના તહેવારો માટે શરૂ કરાઇ હતી. સામાન્ય ટ્રેનની સરખામણીએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોને ત્રીસ ટકા વધુ ભાડું ચૂકવવું પડે છે. આ નિયમ વર્ષ 2015થી અમલમાં મુકાયો હતો. જે મુજબ સ્પેશિયલ ટ્રેનમાં સાધારણ ટ્રેનની સરખામણીએ ત્રીસ ટકા વધુ ભાડું ચૂકવવાનું હોય છે.
કોરોના મહામારીમાં થંભી ગયા બાદ રેલવે વિભાગ આગામી 10 એપ્રિલ સુધીમાં તમામ ટ્રેનને ફરીથી દોડાવવા તૈયારી કરી રહ્યું છે. જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. અલબત્ત, અત્યારે તો તમામ ટ્રેન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દોડશે. મુસાફરોને ટ્રેનમાં પ્રવાસ માટે કોરોના વાયરસને રોકવા બનાવાયેલા તમામ નિયમોનું પાલન કરવું પડશે. વર્તમાન સમયે રેલવેની લગભગ 1100 મેલ એક્સપ્રેસ ટ્રેનને સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવવામાં આવી રહી છે.