India-Maldives Crisis:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ માલદીવમાંથી પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. હવે માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી અથવા MATI એ ત્રણેય મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની નિંદા કરી છે. ભારતે આપેલી મદદને પણ યાદ કરી. MATI એ ભારતને ‘માલદીવ્સ માટે સૌથી મોટું બજાર’ ગણાવ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધો જાળવી રાખવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
માલદીવની મુસાફરી માટે નવી પૂછપરછો આવી રહી નથી
ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, સ્થાનિક ટૂર ઓપરેટર્સની સંસ્થા IATOએ સોમવારે કહ્યું કે માલદીવની મુસાફરી માટે કોઈ નવી પૂછપરછ નથી આવી રહી. ટુર ઓપરેટર સંસ્થા ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (IOTO) ના પ્રમુખ રાજીવ મહેરાએ જણાવ્યું હતું કે, “અમે પૂર્વ આયોજિત મુસાફરી રદ થતી જોઈ નથી કારણ કે લોકોએ મુસાફરી સંબંધિત બુકિંગમાં નાણાંનું રોકાણ કર્યું છે. પરંતુ અમે 15-20 દિવસમાં થોડી અસર જોઈ શકીએ છીએ. આ સાથે મહેરાએ કહ્યું, ‘ભારતીય પ્રવાસીઓ પાસેથી માલદીવમાં કોઈ નવી પૂછપરછ નથી થઈ રહી.’
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે માલદીવ માટે ભારત અગ્રણી પ્રવાસન બજાર છે. આવી સ્થિતિમાં, જો ભારતીયો તાજેતરના વિવાદ પછી માલદીવની યાત્રાનો બહિષ્કાર કરવાનું શરૂ કરે છે, તો તે ટાપુ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે.
માયાલે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘માલદીવ જનારા મોટાભાગના લોકો ભારતીય છે. આવી સ્થિતિમાં આવી અપમાનજનક ટિપ્પણીઓ તેમના માટે સારી રહેશે નહીં. કોવિડ પછી માલદીવના હોટલ ક્ષેત્રના પુનરુત્થાનમાં ભારતીય પ્રવાસીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. “અમારા કેટલાક ટ્રાવેલ ઓપરેટરોએ અમને જાણ કરી છે કે તેઓએ માલદીવમાં હોટેલ બુકિંગ રદ કરવામાં વધારો જોયો છે,” તેમણે કહ્યું.