જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતમ કરતા રહે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થવા સામાન્ય છે. ત્યારે રાજ્યના ડીજીપી દિલબાગસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ડીજીપી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હજી 200 આતંકવાદીઓ સક્રિય છે. તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે 250 જેટલા આતંકીઓ હજુ ઘુસણખોરી માટે તૈયાર બેઠા છે. જેની સામે કાર્યવાહી માટે સૈન્યને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે.
સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે હાલ જેટલા આતંકીઓ કાશ્મીરમાં એક્ટિવ છે તેની સંખ્યા આગામી દિવસોમાં ઘટી શકે છે કેમ કે સૈન્ય દ્વારા આક્રામક ઓપરેશન ચાલી રહ્યા છે. ડીજીપીએ કહ્યું હતું કે ગત વર્ષે પાક. સરહદે જેટલા આતંકીઓ સક્રિય હતા તેટલા જ આ વર્ષે પણ છે. આઇબી અને એલઓસી પર આશરે 250 જેટલા આતંકીઓ સક્રિય છે.
તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે પાડોશી દેશોની ગુપ્તચર એજન્સીઓ (આઇએસઆઇ) હાલ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને સક્રિય કરવા તેમજ સરહદેથી ઘુસાડવામાં હાથ ધરાવે છે અને છેલ્લા 30 વર્ષથી આ એજન્સી કાશ્મીરમાં શાંતી ડોળવાના પ્રયાસો કરી રહી છે.
તાલિબાન દ્વારા સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના બોમ્બ કાશ્મીરમાંથી પણ મળી આવ્યા હતા. આ અંગે રાજ્યના ડીજીપીએ કહ્યું હતું કે આ બોમ્બ એટલા ખતરનાક છે કે તે કોઇ પણ પ્રકારના મેટલ પર ચોંટી જાય છે. નાગરિકો અને સુરક્ષા જવાનોને ટાર્ગેટ કરવા માટે આ પ્રકારના બોમ્બ આતંકીઓએ તૈયાર કર્યા છે.
દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ચાલેલા ઓપરેશનમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કરાયું ત્યારથી જ સામસામે ગોળીબાર થતો રહ્યો, જે આખી રાત ચાલ્યો, સવારે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો. બીજી તરફ પંજાબમાં પાકિસ્તાન સરહદે એક ડ્રેન દેખાયું હતું, જોકે બીએસએફને તેની જાણકારી મળી જતા ગોળીબાર કર્યો હતો. જેને પગલે આ ડ્રોન પરત જતુ રહ્યું.
અહીંની દિંડા પોસ્ટ પર આ ડ્રોન જોવા મળ્યું હતું. અગાઉ પાકિસ્તાન આ પ્રકારના ડ્રોનની મદદથી હિથયારોને ઘુસાડી ચુક્યું છે. જેને પગલે આસપાસના વિસ્તારોમાં હાલ તપાસ ચાલી રહી છે. આ ડ્રોન પાકિસ્તાન દ્વારા જ મોકલવામાં આવ્યું હતું કેમ કે તે તુરંત જ પરત જતુ રહ્યું હતું. જોકે તેનો ઇરાદો શું હતો તે સ્પષ્ટ નથી થઇ શક્યું.