નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે પરીક્ષાઓ અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સાથે કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.
ભારતમાં કોરોના વાઇરસના નવા કેસો દિવસે ને દિવસે બધા જ રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પહેલી વખત ૨.૩૪ લાખ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે આ જ સમય દરમિયાન ૧૩૪૧ લોકોના મોત નિપજ્યા હતા જેથી હાલ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૧.૭૫ લાખે પહોંચી ગયો છે. તે સાથે જ દેશમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૬ લાખને પાર કરી ગયો છે.
દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૩૪૬૯૨ કેસો સામે આવતા કુલ કેસોનો આંકડો હવે ૧.૪૫ કરોડને વટાવી ચુક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧૫ લાખ જેટલા સેંપલોનું ટેસ્ટિંગ કરાયું હતું જ્યારે કુલ ટેસ્ટનો આંકડો ૨૬.૫૦ કરોડને વટાવી ચુક્યો છે. નવા કેસોમાં સૌથી વધુ ૬૭ હજાર કેસ મહારાષ્ટ્ર, ૨૭ હજારથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં અને દિલ્હીમાં ૨૫ હજાર જેટલા કેસો સામે આવ્યા છે. આ ત્રણ રાજ્યો હાલ નવા કેસોમાં ટોપ ત્રણમાં સામેલ છે.
દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવા લાગી છે. રાજધાનીમાં હાલ ઓક્સિજનની મોટા પાયે અછત જોવા મળી રહી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં આઇસીયુ ફુલ થવા લાગ્યા છે, સારવાર માટે કોઇ જ સુવિધા ન હોવાથી દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની સ્થિતિ કથળતા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વીકેન્ડ કરફ્યૂ લાદી દીધો હતો. આ વીકેન્ડ કરફ્યૂ શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે.