Kanker: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 18 થી વધુ માઓવાદીઓ માર્યા ગયા હતા. આમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 18 માઓવાદીઓ માર્યા ગયા છે. ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. આ ઘટના 2024ની લોકસભા ચૂંટણીની શરૂઆતના થોડા દિવસો પહેલા બની હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી આઈકે અલેસેલાએ કહ્યું કે આ વિસ્તારમાં એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે કાંકેરમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે.
નક્સલવાદી કમાન્ડર પણ માર્યો ગયો
એસપી ઈન્દ્ર કલ્યાણ એલિસેલાએ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના માર્યા ગયાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં શંકર રાવ નામનો એક અગ્રણી નક્સલવાદી કમાન્ડર પણ સામેલ છે. શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય ઓપરેશન દરમિયાન ચાર એકે-47 રાઈફલ્સ સહિત હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણ સૈનિકો ઘાયલ
ઓપરેશન અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોટાબેથિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બીનાગુંડા અને કોરોનાર ગામોની વચ્ચે હાપટોલા જંગલમાં બપોરે લગભગ 2 વાગ્યે ગોળીબાર થયો હતો. તે સમયે, રાજ્યના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર હતી. તેમણે કહ્યું, “પ્રારંભિક માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા અઢાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.” અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં ઘાયલ ત્રણ સુરક્ષાકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.