આગામી 11 મે ના રોજ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે ચૂંટણીલક્ષી રેલી અને સભા કરશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે થોડા જ મહિનાઓ બાકી છે તેવામાં રાજકીય પાર્ટીઓ સમગ્ર રાજ્યમાં સક્રિય થઈ ગઈ છે, તેવામાં ભાજપ સામે આ વખતે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ લડાઈ આપશે તેવું દેખાઈ આવે છે.
આમ આદમી પાર્ટી જ્યારથી પંજાબની વિધાનસભા ચુંટણી જીતી છે ત્યારપછીનો તેનો સીધો ટાર્ગેટ ગુજરાત હોય તેવું પાર્ટીની ગતિવિધિઓ પરથી જણાય આવે છે, અને એટલે જ અરવિંદ કેજરીવાલ છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ત્રીજી વખતની મુલાકાત માટે આવી રહ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ આ વખતે 150 થી વધારે બેઠકો મેળવવાની વાતો કરી રહી છે, તો કોંગ્રેસ 125 બેઠકો પર જીતશે તેવો દાવો કરે છે, જ્યારે આ બંને પાર્ટીઓ વચ્ચે ક્યાંકને ક્યાંક છેદ પાડીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરશે તે ચોક્કસ છે, અને એટલા માટે જ આપ પાર્ટીની આ પ્રકારની સક્રિયતા દેખાઈ આવે છે.
રાજકોટ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારથી આપ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી પાર્ટીનું મનોબળ ખૂબ ઊંચું છે, આપ પાર્ટી દ્વારા રાજકોટ શહેર અને આસપાસના ભાગોમાં ગત દિવસોમાં ત્રિરંગાયાત્રા માં જે રીતે લોક પ્રતિસાદ મળ્યો હતો તેને જોતાં પણ રાજકોટમાં આમ આદમી પાર્ટીને આશા બંધાઈ છે, અને એટલે જ આપ પાર્ટી પોતાનો આ લોકસંપર્કનો ગ્રાફ નીચો નહિ આવવા દે.
અરવિંદ કેજરીવાલ સારી રીતે જાણે છે કે દરેક ચુંટણી પાયાના કાર્યકર્તાઓ થકી જ જીતી શકાય છે, અને એક રીતે જોઈએ તો આપ પાર્ટી પાસે પાયાનું સંગઠન ગણી શકાય તેટલું મજબૂત નથી, અને એટલે જ અરવિંદ કેજરીવાલની આ પ્રકારની સક્રિયતાથી આપ ના જે કાર્યકર્તાઓ છે તેનું મનોબળ વધશે અને જે લોકો અન્ય પાર્ટીથી કોઈને કોઈ રીતે નારાજ છે તેઓનો આપ પ્રત્યે ઝુકાવ વધશે, જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને ચુંટણી પરિણામોમાં મળશે.
ચુંટણીને હજી 5 મહિનાઓથી વધારેનો સમય બાકી છે, છતાં રાજ્યમાં અત્યારથી જ જે રીતે પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થયો છે તે જોતાં આગામી સમયમાં રાજકારણ નવી દિશાઓ તરફ આપણને સૌને લઈ જશે તે ચોકકસ છે.