દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 13 ઓક્ટોબર, રવિવારે ઉજવવામાં આવશે. આ રાત્રે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી ખીરને દિવ્ય ઔષધિ બનાવી શકાય અને આ ખીર વિશેષ પ્રકારે ખાવાથી તેનો ફાયદો પણ મળી શકે.
શરદ પૂનમે અશ્વિની કુમારોની સાથે અર્થાત્ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર પૂર્ણ 16 કલાઓથી યુક્ત હોય છે. ચંદ્રની આવી સ્થિતિ વર્ષમાં એક વાર જ બનતી હોય છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અશ્વિની કુમારો દેવતાઓના વૈદ્ય છે. આ રાત ચંદ્રની સાથે અશ્વિની કુમારોને પણ ખીરનો ભોગ લગાવવો જોઈએ. ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવો જોઈએ અને અશ્વિની કુમારોને પ્રાર્થના કરવી જોઈએ કે અમારી ઈન્દ્રિયોનું બળ-ઓજસ વધારો. જે પણ ઈન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, તેમને પુષ્ટ કરો. આવી પ્રાર્થના કર્યા પછી જ તે ખીર ગ્રહણ કરવી જોઈએ.
ચંદ્ર મન અને જળનો કારક ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રની ઘટતી અને વધતી અવસ્થાઓથી જ માનસિક અને શારીરિક ઊતાર-ચઢાવ આવે છે. અમાસ અને પૂનમે ચંદ્રના વિશેષ પ્રભાવથી સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. જ્યારે ચંદ્ર આટલા મોટા દિગમ્બર સમુદ્રમાં ઊથલ-પાથલ મચાવીને કંપાવી દે છે તો આપણા શરીરના જળીય અંશ, સપ્તધાતુઓ અને સપ્ત રંગ ઉપર પણ ચંદ્રનો વિશેષ હકારાત્મક પ્રભાવ પડે છે.
શું કરવું અને શું નહીં ?
1: શરદ પૂનમની રાત્રે સોયમાં દોરો પિરોવવાનો પણ મહાવરો કરવાની પરંપરા છે. તેની પાછળનું કારણ એ છે કે સોયમાં દોરો નાંખવાના પ્રયાસમાં ચંદ્ર તરફ એકીટશે જોવું પડે છે. જેનાથી ચંદ્રની સીધી રોશની આંખોમાં પડે છે. જેનાથી નેત્ર જ્યોતિ વધે છે.
2: શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને અર્ધ્ય આપવાથી અસ્થમા કે દમના દર્દીઓની તકલીફ ઓછી થઈ જાય છે.
3: શરદ પૂનમે ચંદ્રની ચાંદની ગર્ભવતી મહિલાની નાભિ પર પડે તો ગર્ભ પુષ્ટ થાય છે.
4: શરદ પૂનમની રાત્રે ચાંદનીનું મહત્વ વધુ છે, આ રાત્રે ચંદ્રની રોશનીમાં ચાંદીના વાસણમાં રાખવામાં આવેલી ખીરનું સેવન કરવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.
5: આ દિવસોમાં કામ વાસનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપવાસ, વ્રત તથા સત્સંગ કરવાથી તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિ પ્રખર થાય છે.
6: શરદ પૂર્ણિમાની રાત્રે તામસિક ભોજન અને દરેક પ્રકારના નશાથી બચવું જોઈએ. ચંદ્ર મનનો સ્વામી હોય છે એટલા માટે નશો કરવાથી નકારાત્મકતા અને નિરાશા વધે છે.