નવી દિલ્હી : કોરોના વાયરસના રોગચાળા વચ્ચે સરકારે પેરાસીટામોલ દવા અંગે મોટો નિર્ણય લીધો છે. આ ડ્રગમાંથી બનાવેલ ફોર્મ્યુલેશનની નિકાસ ખોલવામાં આવી છે.
વાણિજ્ય મંત્રાલય સાથે જોડાયેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ શુક્રવારે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, પેરાસીટામોલથી બનાવેલ ફોર્મ્યુલેશન (ફિક્સ ડોઝ મિક્સ) તાત્કાલિક અસરથી નિકાસ માટે ખોલવામાં આવી છે. જો કે, પેરાસીટામોલના એક્ટિવ ફાર્મા ઘટકો (એપીઆઇ) પર નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે.
3 માર્ચે લાગ્યો પ્રતિબંધ
પેરાસીટામોલ દવા મુખ્યત્વે તાવમાં વપરાય છે. નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા સરકારે હાઇડ્રોક્સિક્લોરોક્વિન ઉપરાંત 12 દવાઓ અને 12 એપીઆઈની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. આ તમામ નિકાસ પર 3 માર્ચે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રએ નિકાસ નીતિમાં ફેરફાર કર્યો હતો અને 26 દવાઓ અને ફોર્મ્યુલેશનના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પેરાસીટામોલ, ટીનીડાઝોલ, નિયોમિસીન સહિત 26 દવાઓ અને ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દવાઓની કોઈ અછત ન થાય તેથી આવશ્યક દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પછી, ભારત સરકારે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો. હવે પેરાસીટામોલના ફોર્મ્યુલેશનની નિકાસ પણ ખોલવામાં આવી છે. ભારત વિશ્વમાં જેનરિક દવાઓનો સૌથી મોટા સપ્લાયર દેશમાંથી એક છે.