નવી દિલ્હી : કોરોના વાયરસથી સંક્ર્મણ સામે બચાવ માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન 1.0 અને લોકડાઉન 2.0 હવે સરકારી કર્મચારીઓ પર ભારે પડવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર તેના મંત્રાલયો અને વિભાગોના ખર્ચમાં ઘટાડો કરવાની સાથે સરકારી કર્મચારીના પગારમાંથી પણ કેટલોક ભાગ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવશે. આ રીતે સરકાર તેની તિજોરી ભરશે.
નોંધનીય છે કે, મોટાભાગના સરકારી કર્મચારીઓ પોતાનું એક દિવસનું વેતન આ ફંડમાં આપી ચુક્યા છે. પરંતુ હવે દરેક વિભાગોને કહેવામાં આવી રહ્યું છે કે, દરેક કર્મચારીઓ એક વર્ષ સુધી દર મહિને એક દિવસનું વેતન દાન કરે. કેટલાક વિભાગોમાં આ બાબતે પૂછપરછ અને વાંધો ઉઠાવનારના લેખિત જવાબ લઈને ઉચ્ચ કક્ષાએ મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે.