નવી દિલ્હી : કોરોના સંકટને કારણે ઓટો ઉદ્યોગ ધરાશાયી થયો છે. આ સ્થિતિમાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કેનીચિ આયુકાવાએ સરકારની મદદ માંગી છે. તેમણે કહ્યું કે, ભારતીય ઓટો ઉદ્યોગ ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેને જીએસટીમાં ઘટાડા ઉપરાંત પ્રોત્સાહન આધારિત સ્ક્રેપેજ નીતિના રૂપમાં સરકારની મદદની જરૂર છે.
જીએસટીમાં ઘટાડા માટેની ઓટો ઉદ્યોગની અગાઉની માંગને પુનરાવર્તિત કરતાં આયુકાવાએ કહ્યું કે, અમે ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છીએ. ઉદ્યોગને તમારી (સરકારની) સહાયની જરૂર છે. ” તેમણે કહ્યું, ‘અમે જીએસટી કટ અને પ્રોત્સાહન યોજનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમારું માનવું છે કે વિકસતા ધંધા પરનો ટેક્સ સરકારની સ્ક્રેપ યોજના અને જીએસટીમાં ઘટાડા કરતા વધુ રહેશે.
ઉદ્યોગ ઘણા વર્ષો પાછો ગયો
આયુકાવાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળો અને પાછલા નાણાકીય વર્ષથી ચાલી રહેલ મંદીના કારણે આ ક્ષેત્ર ઘણા વર્ષો પાછું ગયું છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ભારતીય ઓટો ઉદ્યોગે વાયરસ સામે લડવા માટે વેન્ટિલેટર, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઈ.) અને વિદેશથી ટેસ્ટ કીટની આયાત કરવામાં પણ ભૂમિકા ભજવી હતી.