વર્ષ 2009માં માયાવતીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવેલી મૂર્તિઓને લઈ સુપ્રીમ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે. કોર્ટે માયાવતીને મૂર્તિઓ અને સ્મારકો પાછળ ખર્ચાયેલા રૂપિયા પાછા આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ ચૂકાદો 2009માં દાખલ થયેલી જાહેરહિતની અરજીના અનુસંધાને આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિમાં આ કેસને જોતાં કહી શકાય છે કે માયાવતીએ મૂર્તિઓ પાછળ ખર્ચ કરેલા રૂપિયા લોકોને પાછા આપવા પડશે. કારણ કે આ લોકોના રૂપિયા છે. હવે આ અંગે વધુ સુનાવણી બીજી એપ્રિલે કરવામાં આવશે.
બસપા સુપ્રીમો માયાવતી 2007થી 2012 દરમિયાન યુપીના સીએમ રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેમણે યુપીમાં અનેક શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરી હતી. આટલું જ નહીં માયાવતીએ જે પાર્ક અને સ્મારક બનાવ્યા હતા તેમાં પણ હાથીઓની મૂર્તિઓ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે આંબેડકર અને કાંશીરામની મૂર્તિઓ પણ સ્થાપિત કરી હતી. લોકોનું કહેવું હતું કે માયાવતીએ જનતાના રૂપિયા પથ્થરો પર ખર્ચ કર્યા છે.
આ સમયગાળા દરમિયાન જ 2009માં મૂર્તિઓને લઈ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તે સમયે સપાએ પણ માયાવતીના આ પગલાનો ઘોર વિરોધ કર્યો હતો. 10 વર્ષ બાદ ચીફ જસ્ટીસ ગોગોઈએ આ અંગે ચૂકાદો આપ્યો છે. માયાવતી વિરુદ્વ આવેલો ચૂકાદો 2019ની લોકસભા ચૂંટણી પર પણ અસરકર્તા બની રહેશે.