પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જુદા જુદા ભાગોમાં 100 થી વધુ પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પાર્ટી કાર્યકર્તાઓ તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં કથિત ધાંધલધમાલ વિરુદ્ધ રેલીઓ કાઢી રહ્યા હતા. પોલીસે રવિવારે આ જાણકારી આપી.
દેશમાં 8 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજાઈ હતી. જે બાદ ત્રિશંકુ પરિણામ જાહેર થયા. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતાઓ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવી રહ્યા છે. ઈમરાન ખાનના કોલ પર પીટીઆઈ સમર્થકોએ શનિવારે દેશભરમાં વ્યાપક પ્રદર્શન કર્યું.
મોટાભાગની ધરપકડ લાહોરમાં થઈ હતી, જ્યાં પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મરિયમ નવાઝે વિરોધ કરી રહેલા પીટીઆઈ સમર્થકો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પીટીઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પોલીસે લાહોરમાં 80 કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી છે. ગુજરાત શહેરમાં વીસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ અને ઈસ્લામાબાદના 38 શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. લાહોરમાં પોલીસે જીપીઓ ચોક અને લિબર્ટી ચોક ખાતે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
પીટીઆઈના નેતાઓ મિયાં શહેઝાદ ફારૂક અને અફઝલ અઝીમ પહાટ, જેમણે મરિયમ નવાઝ અને તેના કાકા શહેબાઝ શરીફ સામે ચૂંટણી લડી હતી, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. ફારુકે મરિયમને હરાવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) પરિણામો બદલી નાખ્યા. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ સચિવ આફતાબ બાજવાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઈમરાન ખાનના સમર્થકોને કારમાંથી બહાર કાઢતા જોઈ શકાય છે. આ સિવાય પીટીઆઈના ઝંડા દેખાડનારાઓને માર મારવામાં આવી રહ્યો છે. પંજાબ પોલીસે કહ્યું કે તેઓએ રસ્તા રોકનારા દેખાવકારોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પણ શનિવાર અને રવિવારે દેશમાં બંધ રહ્યું.
પીટીઆઈએ ચૂંટણીમાં મોટાપાયે ગોટાળા સામે શાંતિપૂર્ણ પ્રદર્શનને રોકવા માટે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી. પાર્ટીએ કહ્યું કે જનાદેશની ચોરી કરવામાં આવી છે. પીટીઆઈ સેન્ટ્રલ પંજાબના જનરલ સેક્રેટરી હમ્માદ અઝહરે કહ્યું કે, વિવાદાસ્પદ અને ફરજ બજાવતા મુખ્યમંત્રી મરિયમ નવાઝે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ રાજ્યની મશીનરીનો ઉપયોગ કર્યો છે.