નવી દિલ્હીઃ આજે રવિવારે દેશ માટે થોડા રાહતના સમાચાર છે. દભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,92,488 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જોકે, રવિવારે સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાને કારણે રેકોર્ડ 3689 લોકો મૃત્યુ પામ્યા છે.
રવિવારે કોરોનામાં 3 લાખ 92 હજાર 488 નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,95,57457 થઈ ગઈ છે. એ જ રીતે, વધુ 3689 લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને 2,15,542 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાનું નામ નથી લઈ રહી. જેથી જ્યાં લાખો નવા દર્દીઓ દરરોજ સામે આવી રહ્યાં છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા રવિવારે વધીને 33,49,644 થઈ ગઈ છે. આ ચેપગ્રસ્ત કુલ 17.06 ટકા છે.
દર્દીઓનો સાજા થવાનો દર વધુ ઘટીને 81.84 ટકા થઈ ગયો છે. દેશમાં સંક્રમણ પછી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને 1,59,92,271 થઈ છે. મૃત્યુ દર 1.11 ટકા છે. દેશના 10 રાજ્યો – મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાંથી કોવિડ -19 ચેપના નવા કેસોના 73.71 ટકા નોંધાયા છે. તે જ સાથે, લગભગ 76 ટકા મૃત્યુ પણ આ રાજ્યોમાં થયા છે.