મુંબઈઃ ઉનાળો શરૂ થતાં જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે મુંબઈમાં મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. આ હોસ્પિટલમાં 70થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં લાગી હતી. આ હોસ્પિટલમાં મોટાભાગે કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગની ઘટના અંગે બીએમસીએ તપાસના આદેશ આપ્યા હતા.
મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હૉસ્પિટલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડના કર્મચારી એ વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી. તેની સાથે જ હૉસ્પિટલની અંદર હજુ પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે કે બીજા કોઈ દર્દી ફસાયેલા તો નથી ને. ઘટના વિશે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લીધી પરંતુ બે લોકોનાં મોત થયા છે. તેઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ઘટના વિશે વાત કરતાં મુંબઈના મેયરે જણાવ્યું કે, મેં પહેલીવાર મોલની અંદર હૉસ્પિટલ જોઈ છે. બીએમસીએ તપાસના આદેશ આપી દીધા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બની અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે. દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.