મુંબઈઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે ત્યારે કોરોનાને રોકવા માટે સરકારો દ્વારા અલગ અલગ નિયમો ફરજિયાત કર્યા છે. કોરોનાની ખરાબ સ્થિતિમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મહરાષ્ટ્રમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કેસ બાદ હવે ત્યાંની સરકારે મહારાષ્ટ્રમાં આવતા લોકો પર આકરા નિયમો મૂક્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રવિવારે મહારાષ્ટ્ર સરકારે દેશની રાજધાની દિલ્હી સહિત સાત વિસ્તારોને સંવેદનશીલ જાહેર કર્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કંતેના હસ્તાક્ષણ સાથેના આદેશમાં કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR), રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આદેશ પ્રમાણે આ છ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે મુસાફરીના 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે તેમજ અન્ય રાજ્યોમાંથી નવા સ્વરૂપે દાખલ થતા વાયરસને રાજ્યમાં આવતો રોકવા માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટિન રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
રેલવેને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં આવતા મુસાફરો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ન બતાવે ત્યાં સુધી તેમને ટ્રેનમાં મુસાફરી ન કરવા દેવામાં આવે. લાંબા અંતરની ટ્રેનો આવ્યાના ઓછામાં ઓછા ચાર કલાક પહેલા રાજ્યના આપતા નિયામક સાથે મળીને રેલવેએ કામ કરવાની જરૂરી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ એક રેકોર્ડ તોડ્યો હતો. અહીં એક જ દિવસમાં અત્યારસુધીના સૌથી વધારે 63,631 કેસ નોંધાયા છે. આ દરમિયાન 503 લોકોનાં મોત થયા હતા. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યારસુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 38,39,338 થઈ ગઈ છે.
જ્યારે મૃતકોની સંખ્યા 60,473 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં હાલ 6,70,388 લોકોની સારવાર ચાલી રહી છે. મુંબઈ શહેરમાં સંક્રમણના 8,468 નવા કેસ નોંધાયા છે, જ્યારે 53 લોકોનાં મોત થયા છે. શહેરમાં કુલ સંક્રમિત સંખ્યા 5,79,486 થઈ છે. મુંબઈમાં અત્યારસુધી કોરોનાથી 12,354 લોકોનાં મોત થયા છે.