Satyendra Jain : સુપ્રીમ કોર્ટે સોમવારે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સત્યેન્દ્ર જૈનની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. હવે તેમને ટૂંક સમયમાં આત્મસમર્પણ કરવું પડશે. જૈનને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને પંકજ મિથલની બેન્ચે 17 જાન્યુઆરી, 2024ના રોજ જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
14 ડિસેમ્બર, 2023 ના રોજ, સર્વોચ્ચ અદાલતે આ કેસમાં આપ સરકારના ભૂતપૂર્વ પ્રધાન જૈનને તબીબી આધાર પર મંજૂર કરાયેલ વચગાળાના જામીનને 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે 26 મે, 2023ના રોજ જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા હતા અને સમયાંતરે તેને લંબાવવામાં આવ્યા હતા.
જૈને આ કેસમાં તેમની નિયમિત જામીન અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટના 6 એપ્રિલ, 2023ના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ED એ AAP નેતાની 30 મે, 2022 ના રોજ તેની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017માં તેમની સામે નોંધાયેલી CBI FIRના આધારે EDએ જૈનની ધરપકડ કરી હતી. CBI દ્વારા નોંધાયેલા કેસમાં 6 સપ્ટેમ્બર 2019ના રોજ ટ્રાયલ કોર્ટે જૈનને નિયમિત જામીન આપ્યા હતા.