ઇન્ડોનેશિયા ખાતે પીએમ મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી આસિયાન-ભારત સમિટ અને 18મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે જકાર્તા, ઈન્ડોનેશિયા પહોંચ્યા છે.
પીએમ મોદી આસિયાન સમિટમાં ભાગ લેવા માટે જકાર્તા પહોંચી ગયા છે. અહીં તેમણે કહ્યું- આસિયાનમાં તમામ દેશોનો અવાજ સંભળાય છે અને અમે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કહ્યું, અમારી ભાગીદારી ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને આ સમિટનું શાનદાર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. આસિયાન શિખર સંમેલનની અધ્યક્ષતા માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું, આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય સ્તંભ છે. ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં પણ આસિયાન ક્ષેત્રનું આગવું સ્થાન છે. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં અમારા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે.
‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’
વૈશ્વિક વિકાસમાં આસિયાન ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વસુધૈવ કુટુમ્બકમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ આ ભાવના ભારતના G-20 પ્રમુખપદની થીમ છે. 21મી સદી એશિયાની સદી છે. મને વિશ્વાસ છે કે આજે અમારી વાતચીત દ્વારા ભારત અને આસિયાન ક્ષેત્રના ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે નવા સંકલ્પો લેવામાં આવશે.
ભારત આસિયાનને લઈને ગંભીર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા સમયે આસિયાન સમિટમાં ભાગ લેવા માટે જકાર્તા ગયા છે જ્યારે ભારતમાં G20 કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અન્ય દેશોના પ્રતિનિધિઓ ભારત પહોંચી રહ્યા છે
સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે G20 પ્રતિનિધિ દેશોના નેતાઓના ભારતમાં આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે આવા સમયે પીએમ મોદી પોતે આ સમિટમાં ભાગ લેવો એ ભારતની લૂક ઈસ્ટ પોલિસીની ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.