PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાદિયાના કૃષ્ણનગરમાં પશ્ચિમ બંગાળને રૂ. 15,000 કરોડની યોજનાઓ ભેટમાં આપતાં કહ્યું હતું કે આનાથી પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયાના કૃષ્ણનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ગુનેગારો નક્કી કરે છે કે ક્યારે સરેન્ડર કરવું અને ક્યારે ધરપકડ કરવી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સંદેશખાલીના ગુનેગારની ધરપકડ થાય તેવું ઈચ્છતી ન હતી, પરંતુ સંદેશખાલીની મહિલાઓ દુર્ગા બનીને ઊભી રહી, ભાજપના કાર્યકરોએ આંદોલન કર્યું અને પછી રાજ્ય સરકારને ઝુકવું પડ્યું.
રાજ્ય સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ટીએમસી સરકાર ગરીબ કલ્યાણ યોજનાઓને પણ યોગ્ય રીતે લાગુ થવા દેતી નથી. દરેક યોજનાને કૌભાંડમાં ફેરવે છે. આમાં તેની માસ્ટરી છે. તેમણે કહ્યું કે આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપને 42માંથી 42 બેઠકો મળશે. તેમણે કાર્યકરોને આગામી 100 દિવસ સુધી ઘરે ઘરે જવા, લોકોને મળવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરી.
જનસભા પહેલા PM Modi એ કૃષ્ણ નગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 15 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે વીજળી, રસ્તા અને રેલ્વેની વધુ સારી સુવિધાઓ પશ્ચિમ બંગાળના લોકો માટે જીવન સરળ બનાવશે. આ વિકાસ કાર્યો પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપશે.