નવી દિલ્હીઃ અત્યારે ભારત દેશ કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વના દેશો પણ કોરોના વાયરસની સંકટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. દેશમાં કોરોનાની આટલી વકરતી સ્થિતિ અંગે કોણ જવાબદાર? ત્યારે લાન્સેટ જર્નલ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતમાં બીજી લહેર માટે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય રેલીઓ અને લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. આ સાથે WHOએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના વિસ્ફોટ પાછળ મહત્વનું એક કારણ કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ છે, જે વધુ સંક્રામક અને જીવલેણ છે. ઉપરાંત રસીકરણની ધીમી ગતિ પણ જવાબદાર છે. WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે ભારતમાં આજે કોરોના મહામારીની સ્થિતિ કોરોના વેરિઅન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે. કોરોના વિસ્ફોટથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું છે.
ભારતીય શીશુ રોગ નિષ્ણાત અને હૂના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સ્વામીનાથને કહ્યું કે કોરોનાનો નવો વેરિઅન્ટ બી.1.617 ભારતમાં ઓક્ટોબરમાં શોધાયો હતો. તે કોરોના વિસ્ફોટનું સૌથી મોટું કારણ છે. આ નવો વેરિઅન્ટ દેશમાં દરરોજ લાખો લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે અને તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મળેલો આ નવો વેરિઅન્ટ ઘણો જ ખતરનાક છે, જે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં પણ અવરોધો સર્જે છે અને જૂના વેરિઅન્ટની સરખામણીમાં ઘણી ઝડપથી મ્યુટેટ કરે છે. કોરોનાના પ્રસાર માટે લોકોની બેદરકારી પણ જવાબદાર છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ વિનાશક બની રહી છે. તેને કારણે દેશમાં કોરોનાથી થતાં મોત અને નવા કેસ નવી વિક્રમી ઊંચાઈ પહોંચી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેણે વારંવારની ચેતવણીઓની અવગણના કરી હતી. અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટના તંત્રીલેખ મુજબ આઈસીએમઆરે સીરો-સર્વેલન્સમાં દેશની માત્ર ૨૧ ટકા વસતી કોરોનાથી એક્સપોઝ થઈ હોવાનું દર્શાવાયું હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતે ‘કોરોનાને હરાવી દીધો’ હોવાની જાહેરાત કરી દીધી હતી. આઈસીએમઆરે પણ કહ્યું કે ભારતમાં કોરોનાની વકરતી સ્થિતિ માટે કેન્દ્રે જવાબદારી સ્વીકારવી જોઈએ.
અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટે ભારતમાં કોરોનાની બીજી લહેરના ફેલાવા માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું છે. મેડિકલ જર્નલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારી છતાં દેશમાં વ્યાપક સ્તરે કુંભમેળા જેવા ધાર્મિક અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં જંગી રેલીઓ થવા દીધી. વધુમાં ભારતમાં રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના સીરો-સર્વેલન્સના સંશોધનમાં જણાવાયું હતું કે, દેશની માત્ર 21 ટકા વસતી જ વાઈરસના ચેપથી એક્સપોઝ થઈ હતી આમ છતાં સરકારે એવી છાપ ઊભી કરી જાણે ભારતે કોરોનાને હરાવી દીધો છે.
અનેક ચેતવણીઓ છતાં દેશમાં સુપરસ્પ્રેડર કાર્યક્રમોના આયોજનોને સરકારે મંજૂરી આપી દીધી. કુંભમેળા જેવા આ ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર દેશમાંથી લાખો લોકોએ ભાગ લીધો. ઉપરાંત રાજકીય રેલીઓમાં પણ લાખો લોકો ઉમટી પડયા. ઉપરાંત ભારતનો રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. દેશમાં બે ટકાથી પણ ઓછી વસતીને રસી આપી શકાઈ હતી તેમ મેડિકલ જર્નલે જણાવ્યું હતું.
વધુમાં જર્નલમાં કહેવાયું હતું કે, દેશમાં માર્ચના પ્રારંભમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ તે પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી દીધી કે ભારતમાં કોરોના મહામારીનો અંત શરૂ થઈ ગયો છે. પરીણામે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈન ઉદ્ભવ્યા હોવાની વારંવારની ચેતવણીઓ છતાં કેન્દ્ર સરકારમાંથી એવી છબી ઊભી થઈ કે ભારત કોરોના સામે જીતી ગયું છે. કોરોના સામે ભારતની જીત ઉપરાંત દેશ હર્ડ ઈમ્યુનિટીમાં પહોંચી ગયો છેના ખોટા દાવાઓ તેમજ અપૂરતી તૈયારીઓના કારણે લોકો બેદરકાર બની ગયા અને લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું નેવે મુકી દીધું.