દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હવે દિલ્હી પોલીસે આના પર કડક કાર્યવાહી કરી છે. એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ભાગેડુ ઉદ્યોગપતિઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીના પોસ્ટર ચોંટાડવા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ તસવીરો મધ્ય દિલ્હીના અલગ-અલગ ભાગોમાં મુકવામાં આવી છે.
📍 New Delhi#ModiKaAsliParivar यही है,
बाकी सब झूठ और फरेब है… pic.twitter.com/RSo8dBTDuk— Srinivas BV (@srinivasiyc) March 5, 2024
આ પોસ્ટર્સ પર ‘મોદીનો અસલી પરિવાર’ લખેલું છે. પોસ્ટરની નીચે ‘ઇન્ડિયન યુથ કોંગ્રેસ’ લખેલું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે દિલ્હી પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે.
MCD અધિકારીની ફરિયાદ પર મંગળવારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પોસ્ટરોમાં કોઈ પ્રકાશક કે કોઈ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું નથી. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમનો પરિવાર છે. પટનામાં એક રેલીમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમનો કોઈ પરિવાર નથી. જેનો પીએમ મોદીએ જવાબ આપ્યો.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના મોદીના પરિવાર વિશેના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ નામથી એક અભિયાન શરૂ કર્યું છે. ભાજપના ઘણા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. મંગળવારે કોંગ્રેસે કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે શું ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા પણ તેમના પરિવારમાં છે.