PM મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM-Kisan) યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ યોજનાના પ્રારંભ ટાણે દેશભરના એક કરોડ ખેડુતોના ખાતામાં માત્ર એકજ ક્લિકથી પ્રથમ ચૂકવણી રૂપે બે હજાર રૂપિયા જમા થઈ ગયા. આના મેસેજ પણ ખેડુતો સુધી પહોંચ્યા. હવે પછી બે દિવસમાં વધુ એક કરોડ ખેડુતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવશે.
કેન્દ્રની મોદી સરકારે નાણાકીય વર્ષ 2019-2020ના વચગાળાના બજેટમાં PM-Kisan યોજનાની જાહેરાત કરી હતી. આના અંતર્ગત બે હેકટર સુધી ખેતી કરનારા 12 કરોડ નાના અને છેવાડાના ખેડુતોને વાર્ષિક 6 હજાર રૂપિયા રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આ હતી. વડાપ્રધાન મોદીએ ગઈકાલે ટવિટ કરી કહ્યું હતું કે આવતીકાલે ઐતિહાસિક દિવસ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત ગોરખપુરથી કરવામાં આવશે. આ યોજનાથી સખત પરિશ્રમ કરનારા કરોડો ભારતીય ખેડુતોની આશાને પાંખો ફૂટશે, જે લોકો આપણા દેશનું પોષણ કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત બે વસ્તુને ઉજાગર કરે છે. ખેડુતો પ્રત્યે શાસનની અતૂટ પ્રતિબદ્વતા અને ઝડપી નિર્ણય લેવા માટેની પ્રક્રિયા. પહેલી ફેબ્રુઆરીએ જાહેર કરાયેલી યોજના ખૂબ જ ટૂંકા ગાળામાં વાસ્તવિકતા બની ગઈ છે. આ નવા ભારતની કાર્ય સંસ્કૃતિ છે. આ યોજના આ વર્ષથી જ લાગુ કરી દેવામાં આવી છે અને જેના કારણે માર્ચના અંત સુધીમાં ખેડુતોને બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો મળી જશે. આ યોજના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું નિરાકરણ કરવા કેન્દ્ર સરકારની કોશીશોનું પરિણામ છે.
ખેત ઉત્પાદનોમાં બમ્પર ઉછાળો આવતા ખેડુતોને પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. શેરડી, કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોમાં ભારે તકલીફ ઉભી થઈ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે શનિવારે નિવેદન આપ્યું હતું કે નાના અને છેવાડાના ખેડુતોની મદદ માટે સરકાર કિસાન સન્માન નિધિ શરૂ કરવા જઈ રહી છે. પ્રથમ ચરણમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ સહિત 14 રાજ્યોના એક કરોડ ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. હવે પછી 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી બે-ત્રણ દિવસમાં બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો પહોંચાડી દેવામાં આવશે. ખેડુતોના અકાઉન્ટમાં ઓન લાઈન રૂપિયા કરવામાં આવી રહ્યા છે.