પુલવામા આતંકવાદી હુમલા અંગે પાડોશી દેશ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે આવા હુમલા કરીને ભારતને કમજોર કરી શકશે નહી. હુમલાના ગુનેગારોએ આકરી કિંમત ચૂકવવી પડશે.
તેમણે કહ્યું કે તિરંગામાં લપેટાયેલા સીઆરપીએફના જવાનોના પાર્થિવ શરીરની રાહ જોઈ રહેલા પરિવારજનોની પીડા અને દેશભરમાંથી જઘન્ય હુમલા વિશે લોકોની લાગણીમાં આવેલા ઉછાળને સમજું છું. સુરક્ષા દળોને આગળની કાર્યવાહી કરવા માટે છુટ્ટોદોર આપી દેવામાં આવ્યો છે. સમય, સ્થળ અને કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત બતાવી છે તેની તેમને આકરી કિંમત ચૂકવવી પડશે. હુમલાના કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યું છે. આ સમયે દેશની અપેક્ષા છે કે કશુંક કરવામાં આવે, તે સ્વભાવિક છે. અમને અમારા સૈનિકોના શૌર્ય પર વિશ્વાસ છે. પડોશી દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે અને રોજીંદો ખર્ચો પણ પૂરો કરી શકે એમ નથી. આખા વિશ્વમાં ભીખનો કટોરો લઈને ફરી રહ્યો છે.
તેમણે કહ્યું કે પુલવામા જેવી તબાહી મચાવીને તે ભારતને બદહાલ કરવા માંગે છે. પરંતુ તેના બદઈરાદાઓનો દેશવાસીઓ સાથે મળીને જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાન વિશ્વમાં અલગ-થલગ થઈ ગયો છે. પડોશી રાષ્ટ્ર જે પ્રકારના કૃત્યો કરી રહ્યો છે, ષડયંત્રો કરી રહ્યો છે અને ભારતમાં અસ્થિરતા જન્માવી સફળ થઈ જવાના મનસુબા ધરાવે છે તો એ મોટી ભૂલ કરી રહ્યો છે. પાકિસ્તાનને આની બહુ મોટી કિંમત ચૂકવવી પડવાની છે.