અમૃતસર : પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી 21 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસે ઝેરી દારૂ બનાવનાર કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ સ્ટેશનના એસએચઓ તરસિકને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે સમગ્ર કેસની તપાસ કરશે.
આ કેસ વિશે માહિતી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રથમ પાંચ મૃત્યુ 29 મી જૂને રાત્રે અમૃતસર ગામના પોલીસ સ્ટેશન તરસિકમાં મુચ્છલ અને તંગરાથી થયા હતા. 30 જુલાઇની સાંજે મુચ્છલમાં શંકાસ્પદ સંજોગોમાં વધુ બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ પછી મુચ્છલ ગામે વધુ બે મોત થયા, જ્યારે બટાલા શહેરમાં બે લોકોનાં મોત નીપજ્યાં. આજે ફરી બટાલામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે બટાલામાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય તરનતારનમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
આ કેસમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. તેની તપાસ જલંધરના વિભાગીય કમિશનરને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિભાગીય કમિશનરને મુક્તિ આપી છે કે તેઓ કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાતની તપાસમાં મદદ લઈ શકે છે. સીએમ અમરિન્દરે કહ્યું હતું કે તપાસમાં દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.