નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક બનતી જાય છે. દેશમાં રોજે રોજ લાખોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશનને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીનને ટેસ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો પ્રબંધ કરવામાં આવે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને એવો આરોપ પણ કર્યો કે સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે અને એવામાં ગરીબોને તાત્કાલિક આર્થિક મદદ આપવામાં આવે જેથી તેમને ગયા વર્ષની જેમ પીડામાંથી ન પસાર થવું પડે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો શુક્રવાર 7 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,14,188 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,915 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,14,91,598 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,49,73,058 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 76 લાખ 12 હજાર 351 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,31,507 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 36,45,164 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,34,083 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.