જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક નિર્માણાધીન સુરંગનો ભાગ તૂટી પડતાં શનિવારે કાટમાળમાંથી અત્યાર સુધીમાં નવ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે આ અકસ્માતમાં મૃત્યુઆંક ચારથી વધીને નવ થઈ ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે નવ મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેમના મૃત્યુની હવે પુષ્ટિ થઈ ગઈ છે. મજૂરોને સલામત રીતે બહાર કાઢવા માટે શનિવારે સવારે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં ભૂસ્ખલનને પગલે શુક્રવારે સાંજે શોધ અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે કેટલાક કલાકોની સઘન શોધખોળ બાદ બચાવ ટીમ દ્વારા બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી એક અન્ય શબ જોયો છે. તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુરુવારે લગભગ 10.15 વાગ્યે રામબનમાં ખૂની નાલા પાસે હાઇવે પર T3 ટનલ તૂટી પડી હતી. ત્રણને સુરક્ષિત બચાવી લેવાયા હતા. સાથે જ નવ મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ભૂસ્ખલન દરમિયાન રામસુ પોલીસ સ્ટેશનના પ્રભારી નઈમુલ હક સહિત 15 બચાવકર્તાઓ બચી ગયા હતા. ઘટના બાદ બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. પહાડી પરથી પથ્થર પડવાને કારણે, ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઓપરેશનને રદ કરવામાં આવ્યું હતું અને તે સવારે જ શરૂ થઈ શક્યું હતું.