નવી દિલ્હીઃ કોરોના વાયરસ અંગે હવે થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. તાજા આંકડા પર નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. છેલ્લા 3 સપ્તાહથી સતત દરરોજ કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન 7 દિવસના સરેરાશ કેસનો અભ્યાસ કરીએ તો તે 50 ટકા સુધી ઘટી ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 30 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,65,553 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,460 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,78,94,800 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,20,66,614 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 54 લાખ 54 હજાર 320 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,76,309 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 21,14,508 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,25,972 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 મે સુધીમાં ભારતમાં કુલ 34,31,83,748 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના 24 કલાકમાં 20,63,839 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.