નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, મજૂરો અને યાત્રાળુઓની પરિવહન માટે વિશેષ ટ્રેન્સને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટ્રક અને નૂર વાહનોને કોઈ પાસની જરૂર નથી.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્યા સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સતત ચાલુ છે. ફસાયેલા લોકોને ટ્રેન દ્વારા જવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે માર્ગદર્શિકા હોવા છતાં પણ દેશના કેટલાક ભાગોમાં ટ્રકોની અવરજવરમાં સમસ્યા છે. સરકાર ફરીથી સ્પષ્ટ કરે છે કે આવશ્યક માલ માટે ટ્રક અને વાહનોને કોઈ પાસની જરૂર નથી.
બીજી તરફ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,993 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કુલ કેસની સંખ્યા 35,043 થઈ છે, જેમાંથી 25,007 કેસ સક્રિય છે. દરમિયાન રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં 564 કેસ સ્વસ્થ થયા છે, આ સાથે જ સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 8,888 પર પહોંચી છે. લવ અગ્રવાલે કહ્યું કે દેશનો રિકવરી દર 25.37% થઇ ગયો છે.