કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસને મોંઘવારીમાં રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલ અને ઘઉં બાદ હવે કેન્દ્ર સરકારે ખાંડ પર મોટો નિર્ણય લીધો છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકારે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો હેતુ સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને ભાવ વધારાને રોકવાનો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધની માહિતી આપવામાં આવી હતી. અગાઉ, સરકારે સૂર્યમુખી અને સોયાબીન તેલની આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી. આ નિર્ણયની અસર સીધી ખાદ્યતેલના ભાવ પર પડશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ‘ખાંડની નિકાસ (કાચી, શુદ્ધ અને સફેદ ખાંડ)ને 1 જૂન, 2022થી પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવી છે.’
નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે CXL અને TRQ હેઠળ યુરોપિયન યુનિયન અને યુએસમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. આ પ્રદેશોમાં સીએક્સએલ અને ટીઆરક્યુ હેઠળ ચોક્કસ માત્રામાં ખાંડની નિકાસ કરવામાં આવે છે.
એક નિવેદનમાં જણાવાયું છે કે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં ખાંડની સ્થાનિક ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે, 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાંડની સિઝન દરમિયાન સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે, 100 LMT (લાખ મેટ્રિક ટન) સુધીની ખાંડની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીજીએફટી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, 1 જૂન, 2022 થી 31 ઓક્ટોબર, 2022 સુધી અથવા આગળના આદેશો સુધી, જે વહેલું હોય, ખાંડની નિકાસને ખાંડ નિર્દેશાલય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની ચોક્કસ પરવાનગી સાથે મંજૂરી આપવામાં આવશે.