પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંથી એક એ જી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તે છેલ્લા 31 વર્ષથી જેલના સળિયા પાછળ બંધ છે.
પેરારીવલને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું હતું કે તમિલનાડુ સરકારે તેમને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજ્યપાલે ફાઈલ લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યા બાદ રાષ્ટ્રપતિને ફાઈલ મોકલી દીધી હતી. તે બંધારણની વિરુદ્ધ છે. 11 મેના રોજ થયેલી સુનાવણીમાં કેન્દ્રએ પેરારીવલનની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવાના તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયનો બચાવ કર્યો હતો
એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજાએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચને કહ્યું હતું કે કેન્દ્રીય કાયદા હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિની માફી, અને દયાની અરજી પર માત્ર રાષ્ટ્રપતિ જ નિર્ણય લઈ શકે છે.
રાજીવ ગાંધી હત્યા કેસમાં સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. આ પછી દોષિતોએ તેમની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.